Tuesday, October 16, 2012

પાશ્ચાત્યોનું અનુકરણ આંધળું શા માટે ?

પાશ્ચાત્યોનું અનુકરણ આંધળું શા માટે ?
ઇંગલેંડ-અમેરિકા સહિતના પશ્ચિમના ઘણાં દેશોમાં વર્ષના મોટા ભાગના સમયમાં ઠંડી ખુબ પડતી હોય છે. આથી કુદરતી રીતે જ ત્યાંના લોકોની ત્વચા ગોરી હોય છે. જ્યાં ગરમી વધુ છે ત્યાં સ્વાભાવિક રીતે જ લોકો કાળી ચામડીના હોય છે. હવે જે પ્રકૃતિદત્ત છે તેવા ગુણને આધારે શ્રેષ્ઠ-કનિષ્ઠનો ઝઘડો ઊભો કરનારાઓને આપણે કઇ રીતે બુદ્વિમાન કહીશું ? આપણું મોટા ભાગનું વર્તન લાગણીથી, દેખા-દેખીથી, અંધઅનુકરણથી પ્રેરિત હોય છે. તપાસવાનું છે કે વર્તન અંગે આપણે બુદ્ધિથી કોઇ ખુલાસો આપી શકીએ છીએ ખરા ?

પશ્ચિમના દેશોમાં ખુબ ઠંડી પડતી હોવાથી રાત્રે સુઇ ગયા બાદ ત્યાંના લોકોના શરીરની રક્તવાહિનીઓમાં રક્તનું પરિભ્રમણ ધીમું થઇ જાય છે, લગભગ અટકી જાય છે. સવારે જ્યારે તેઓ જાગે છે. ત્યારે તેઓના શરીરના અંગો એવા જકડાઇ ગયા હોય છે કે બહારથી શરીરને ગરમી-હુંફ ન મળે તો તેઓ હલનચલન પણ કરી શકતા નથી. આથી જાગીને પ્રથમ ઊઠવાને બદલે તેઓ bed tea લે છે. આપણે ત્યાં વગર વિચાર્યે ઘણાં ધનિક પરિવારોમાં જાગીને પથારીમાં ચા પીવાની પ્રથા છે. શું આને બુદ્ધિથી સમજાવી શકાય એમ છે? સુર્ય ઊગીને માથે આવ્યો હોય ત્યારે તેઓ જાગે છે, છતાં ગરમીમાં તેઓ Bed Tea લે છે.

પાશ્ચાત્યોનો પહેરવેશ ઠંડીમાં અનુકુળ છે. ગળાના ભાગેથી ઠંડી શરીર પર સહેલાઇથી હુમલો કરી શકે છે જેનાથી બચવા તેઓ શર્ટનો કોલર બંધ કરીને ઉપર ટાઇ બાંધે છે જેથી ઠંડીને છાતીના ભાગે પહોંચવાની તક ના મળે. એવું જ લાંબી બાંયનો શર્ટ પહેરવા પાછળનું કારણ છે. શર્ટ ઇનસર્ટ કરીને બેલ્ટ બાંધે છે, કમરના ભાગેથી ઠંડીને આવતી રોકવા માટે! પગમાંના મોજાં અને ટાઇટ દોરીથી બાંધેલા બુટની પાછળ પણ ઠંડીનું જ કારણ છે. રસ્તે ચાલતા જતા યુવક અને યુવતી એક-બીજાનો હાથ પકડીને ચાલે છે, જેથી ઠંડીમાં બન્નેને એકબીજાની શરીરની હુંફ મળતી રહે. સામસામે કોઇ મળે છે ત્યારે કરાતા હસ્તધુનથી પણ તેઓ પરસ્પર હુંફ અનુભવી લે છે. આપણે ત્યાં ઉપરની તમામ બાબતો પ્રતિકુળ છે, છતાં જેમની તેમ ઉપાડી લેવામાં આવી છે. ઉષ્ણકટિબંધવાળા દેશમાં આવો પહેરવેશ જરા પણ અનુકુળ બને તેમ નથી, ઊલટાનો ઘણી તકલીફ આપે છે. આરામદાયક તો બનતો જ નથી પરંતુ ચામડીના રોગો વધારી મુકે છે. છતાં અનુકરણ કરવામાં આપણને ગર્વ અનુભવાય છે.

એવું છે કામના કલાકોનું! ત્યાં વહેલી સવારે હવામાન ઠંડુ હોય છે. ઘણી વખત બહાર નીકળી ન શકાય તેવી સ્થિતિ હોય છે. રાત્રે ખુબ જ ઠંડી પડી હોવાથી અતિશય સ્નો-ફોલ (બરફ વર્ષા) થયો હોય છે. સવારે સુર્ય ઊગે, તેની ગરમીથી બરફ પીગળે ત્યારે ત્યાંના લોકો પોતાના ઘરનું જકડાઇ ગયેલું બારણું ખોલી શકે છે અને પોતાની કાર હંકારીને કામ-કાજના સ્થળે જઇ શકે છે. શરીરના અંગોમાં કામ કરવાની સ્વસ્થતા દિવસના માત્ર 9 થી 5 કલાક સુધી હોવાથી તેઓના કામકાજના કલાકો એ પ્રમાણે છે, જેને આપણે એમ ને એમ સ્વીકારી લીધા છે. તે આપણને અનુકુળ છે કે પ્રતિકુળ તે નહિ વિચારવાનું!

આપણે ત્યાં વહેલી સવારે છ વાગ્યાથી લઇને બપોરના બાર વાગ્યા સુધી જ કામ કરવાનું શક્ય છે.ત્યારપછી સુર્ય અગન ગોળા વરસાવે છે, કાર્યશક્તિને ક્ષીણ કરી નાંખે છે. ઉત્સાહ ઘટવાની સાથે-સાથે ઉત્પાદન પણ ઘટી જાય છે. વાતાવરણને ઠંડુ રાખવા માટે કરોડો-અબજો રુપિયાના એરકંડીશનર્સ અને વીજળી ખર્ચી નાંખીએ છીએ પરંતુ કોઇ બુદ્વિમાનને એવું નથી સૂઝતું કે કુદરતે આપેલ એરકંડીશનર અને વીજળીનો વપરાશ કરી લઇએ અને ઉત્સાહ અને સ્ફૂર્તિને ઉત્પાદનમાં પરિવર્તીત કરી દેશને સમૃદ્ધ બનાવીએ. સ્વતંત્રબુદ્ધિથી એક પગલું પણ ન ભરી શકીએ એવા આપણે પાંગળા છીએ છતાં કોઈ મૂર્ખ કહે તો ખોટું લાગે છે!

ભોજન અંગેની ટેવોનું પણ એવું જ છે. આપણે ત્યાં ગરમી વધુ હોવાથી જમતી વખતે પાણી પીવું પડે છે. જેથી ખોરાક સમરસ થતો રહે અને પાચનતંત્રને ખોરાક પચાવવામાં બહુ તકલીફ ન પડે. પરંતુ તેની આડ અસર રુપે અથવા તો તૃપ્તિના સંકેત તરીકે આપણે ઓડકાર ખાઇએ છીએ. તેને પાશ્ચાત્યો જંગલીપણું ગણાવે છે. તેઓને ઠંડા પ્રદેશમાં ભોજનની સાથે બહુ પાણી પીવું પડતું નથી. આથી તેઓને ઓડકાર આવતો નથી. પરંતુ તેઓને જમતાં જમતાં નાકમાંથી લીંટ કાઢીને સાફ કરતાં ચીતરી ચઢતીનથી. ઠંડા પ્રદેશમાં શરદી થવી સ્વાભાવિક છે. આપણે ત્યાં શરદી થવી એ રોગની નિશાની ગણાય છે.

આપણી પ્રકૃતિ સંયોજક(synthetic) છે, તેઓની પદ્ધતિ વિશ્લેષક(analytical ) છે. તેઓ બધું છુટું પાડીને જુએ છે, આપણે સમગ્રનો અભ્યાસ કરીએ છીએ. આથી જ જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે થાળીમાં બધી જ વાનગી એક સાથે પીરસાયેલી મળે છે. પશ્ચિમમાં એવું નથી. ત્યાં એક પછી એક એમ સ્વતંત્ર રીતે વાનગીની ડીશ પીરસવામાં આવે છે. છેલ્લે આઇસ્ક્રીમ અને ફળોની ડીશ આવે. આપણે યુવક કે યુવતીને તેના સમગ્ર દેખાવ પરથી તે સુંદર છે કે નહિ તે નક્કી કરીએ છીએ. પશ્ચિમના લોકો તેઓના નાક, આંખો વગેરે છૂટું પાડીને તેને સુંદર કે અસુંદર ગણવાની પદ્વતિ અપનાવે છે.
પશ્ચિમનો ધર્મ વિજ્ઞાનને પ્રતિકૂળ, જ્યારે પુર્વનો ધર્મ અનુકૂળ છે છતાં તેઓનું અનુકરણ કરીને આપણે ધર્મને ગાળો આપીએ છીએ.

પશ્ચિમના દેશોમાં ધર્મનો વિકાસ થયો જ નથી. આથી ધર્મ માનવી મન પર પકડ જમાવી શક્યો નથી. ત્યાં ઇહલોક અને પરલોક એવા બે ભાગ પાડી દેવામાં આવ્યા છે. ઇહલોકમાં રાજાના કાયદા અથવા તો શાસન ચાલે. જ્યારે પરલોકના જીવન માટે ધર્મના કાયદા ચાલે. ઇહલોક માટે ધર્મના કાયદા દખલ અંદાજી કરી શકે નહિ. એ જ રીતે શાસનના કાયદા લોકોના પારલૌકિક જીવનમાં પ્રવેશી શકે નહિ. પશ્ચિમના ધર્મમાં બુદ્વિ પ્રામાણ્ય છે જ નહિ. આથી વિજ્ઞાનનો વિકાસ ધર્મને અનુકુળ રહ્યો નથી.

આપણો વૈદિક ધર્મ બુદ્ધિપુર્ણ છે, ગતિશીલ છે. માનવજીવનને માર્ગદર્શન કરવાની શક્તિ તેનામાં છે. જીવનના સત્યસિદ્ધાંતો તે સમજાવી શકે છે. વૈદિક ધર્મના સિદ્ધાંતો ત્રિકાલાબાધિત છે. વિજ્ઞાન અને ધર્મને પુર્વમાં કયારેય સંઘર્ષમાં ઊતરવું પડ્યું નથી કારણ કે ધર્મમાં બુદ્ધિથી પુરેપુરો વિચાર કરાયેલો છે. વૈદિક ધર્મમાં ક્યાંય ચાંચ મારવાની જગ્યા નથી. આપણો ધર્મ વિજ્ઞાનને સ્વીકાર કરવાની સાથે સાથે તેને પોતાનામાં સમાવી લે છે. આપણે ત્યાં પ્રભુ રામ સ્વયંચાલિત વિમાનમાં મુસાફરી કરતા જોવા મળે છે. માણસને હવાઇ માર્ગે કોઇ પણ સાધન વગર ગતિ કરતા વાંચી શકીએ છીએ. પાણીમાં રહીને સ્તંભન વિદ્યા, અદૃશ્ય થવાની શક્તિ, યાદ કરતાં જ હાજર થવાની વિદ્યા, શરીરનું કદ હિમાલય જેવડું વિરાટ અથવા તો કૃમિ-કીટક જેવું સુક્ષ્મ કરવાની વિદ્યાનો સ્વીકાર આપણે ત્યાં છે. સંજયદૃષ્ટિ – એ આજનું ટેલીવિઝન નથી તો બીજું શું છે?

સૌજન્ય : કલ્પેશ સોની
 

No comments:

Post a Comment